#repeat_post
કહેવાય છે કે અમુક રોગ સંગીત થી દુર કરી શકાય છે. અનુભવેલ વાત છે કે સંગીત થી મન પ્રફુલ્લિત રહે છે. સંગીત ને સાધના નો દરજ્જો આપવામાં આવ્યો છે તો એમ જ વાંચન પણ શારીરિક નહીં પણ માનસિક રોગો નો નાશ કરી જ શકે એમ છે. જેમ સંગીત માં રાગો હોય છે એમ વાંચનમાં વિષયો હોય છે. સંગીત તમને તન અને મન ની શાંતિ આપે છે પણ વાંચવું તો મનની શુદ્ધિ કરે છે. પણ છતાં ગાયકો મ્યુઝીક આર્ટિસ્ટ જેટલું માન સન્માન લેખકો ને મળતું નથી. સંગીત સાથે જ જોડાયેલ ગીતકારોના નામ બહુ ઓછા લોકો ને યાદ હશે. શબ્દો ને સુંદર રીતે માળા બનાવી આપણી સમક્ષ મુકનાર ગીતકારો નો એટલો જ ફાળો છે જેટલો ગીત ગાનાર કે ગીતમાં સુર સાધનાર સંગીતકાર.
આમ તો દરેક કલા સાધના છે પણ આપણે લેખન ને કલા ગણતા નથી. ભલે લખનાર માટે લખવું અને કવિ માટે કવિતા એક ભક્તિ જ હોય જેનાં થકી એ સર્વશક્તિમાન સાથે એકાકાર થતાં હોય પણ એમને એટલી જગ્યા હજી આ સમાજે આપી નથી. વાંચનમાં રસ ધરાવતાં હોય એમને પૂછી જોજો એક જ જીવનમાં કેટકેટલાય ભવ જોવાઇ જતાં હોય છે. લેખક તો કેટકેટલા વ્યક્તિઓ ને વર્ચ્યુલ જન્મ આપતાં હોય છે. સહેલું જે સરળ લાગતું વાંચન ખરેખર એટલું સહેલું નથી સમય આપવો ચિત ને ચોડવું પડે છે. પણ એક વખત ચિત ચોંટી જાય તો ખૂબ મજા પડી જાય એક અલગ જ અનુભવ મળે પછી વાંચ્યા વગર ભૂખ પણ ન લાગે. વિચારો ઘણાં હોય પણ વિચાર ને યોગ્ય શબ્દો સાથે શણગારી ને ભાવક સુધી મુકવાનું હોય છે જેના માટે યોગ્ય વાતાવરણ અને મૂડ જરૂરી છે.
સંગીત અને લેખન બંને એક બીજાના પૂરક છે જો ગીતના શબ્દો ન હોય તો ખાલી ગીતમાં ખાલી સંગીત અધૂરાપણું દાખવે. શબ્દો ના સથવારે ચલાવાતી નાવડી કેટકેટલાય તોફાનો પાર કરી શકે એમ છે.(MMO)
મારા માટે લખવું એક આરાધના છે. બોલવા કરતાં લખવાનું મને ગમે છે. કોઈ ને પ્રોત્સાહન આપવું કે કોઈ ની સારી બાજુ ને મારા શબ્દો દ્વારા ઉજાગર કરવી ગમે છે. સૌથી વધુ ત્યારે મજા આવે જ્યારે મેં લખેલ કોઈ વાત કે વાર્તા કોઈ અજાણી વ્યક્તિ પોતાની સાથે જોડે મને ઘણી વખત ઘણાં લોકો એ કહ્યું છે કે તમે જાણે મારા મનની વાત લખતાં હો એવું લાગે ત્યારે હું લખું છું એ ને પૂરતો ન્યાય આપું છું એવું લાગે .વાર્તા ના વિષય તો આસપાસ અને અનુભવો થી મળતાં હોય ત્યારે કોઈ એમ કહે કે મારા જ ઘરની વાત છે તો કેવી મજા આવે લખવાનો જુસ્સો વધી જાય. ઘણી વખત મને ખાલી ખાલી લાગે ત્યારે હું એક ફકરો પણ લખી નાખું તો મને મજા પડી જાય.
મારી જેમ ઘણાં પોતાના વિચારો ને શબ્દો માં ઢાળવા ઇચ્છતાં હોય ત્યારે તેમને એક જ વાત કહીશ કે જે મગજમાં આવે એ લખી નાખો. આદત બનતી જશે અને ભૂલો સુધરતી જશે.. પણ શરૂઆત કરવી પડશે .